ક્યા બાત!
આજે ઘણાં વરસે ફુરસદ કાઢીને બ્લોગ પર કંઈક લખવાનું મન થઈ આવ્યું. કોઈ ઘટના કે સંદર્ભ વિશેની ફિલોસોફી પર શબ્દો માંડુ એવો પહેલો વિચાર આવ્યો. ક્યાંક ઓચિંતો અણચિંતવ્યો એકાદ ભૂલ્યો ભટક્યો હટકે વિચાર મનમાં ક્લીક થાય અને એ ટાંય ટાંય ફિસ્સ ન થઈ જાય એ માટે એને Google Keep માં ટપકાવી લેવાની મને ટેવ પડી ગઈ છે. આથી Google Keep માં ખાંખાખોળા કરવા માંડ્યો. એમાં આ મારી ટચુકડી રચના (ડ્રેબલ) હાથ લાગી.
શીર્ષક – ખભો
રિમઝિમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં, એ ઘેર આવ્યા ત્યારે, ફક્ત ડાબો ખભો ભીનો જોઈને વીસ વરસાદ જોઈ ચુકેલી એની પત્ની તાડૂકી, “કઈ ચૂડેલને છત્રીમાં લીધી હતી? એકવાર ઘેર તો લઈ આવો.”
-સંજય ગુંદલાવકર
લખ્યું – તા. ૦૧/૦૭/૨૦૧૯
આ રચના પછીથી વોટ્સેપમાં ઘણી વાઇરલ થઈ. અલબત્ત, એની પેરોડી બની હતી. જેમાં પાત્રની ફેરબદલી થઈ હતી. પત્નીને બદલે માને લેવામાં આવી હતી. એમાંથી એક આ મુજબની હતી, (મોકલનાર મિત્ર જિગ્નેશભાઈ અધ્યારું)
રિમઝિમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં, એ ઘેર આવ્યો ત્યારે, ફક્ત ડાબો ખભો ભીનો જોઈને પચાસ વરસાદ જોઈ ચુકેલી એની બાએ કીધુ, “અરે એને એકવાર ઘેર તો લઈ આવ.”
આ રચના વિશે Facebook પર ઘણી ચર્ચા થઈ જેની લીંક આ રહી –
https://m.facebook.com/story.php?story_fbid=2774891455860394&id=100000187013226
ખેર.. મારા માટે તો આ દુહેરી લાગણી હતી. એક તો – અમે વાઇરલ થયા રે લો’લ એનો હર્ષ અને નામ વગર, છેડછાડ સહિત વાઇરલ કાં થયા રે લો’લ એનો શોક..
વિચારવંત તેમજ સજાગ વાચકોને સલામ. જે આવી ત્રુટીઓને પકડીને એ વ્યક્તિના કાન આમળી શકે. નહીંતર આગળ જતાંને ઘણાંયના મુખેથી આવી વાક્ધારા વહેતી થાશે કે, “સાહિત્યમાં તો આવું બધું ચાલ્યા કરે.”
કો’કના ધ્યાનમાં આવે ત્યારે સાચા લેખકનું, કવિનું, રચનાકારનું નામ સામે આવે. નહીંતો હરાયા ઢોર જેવા ફોરવર્ડીયા મેસેજ બનીને વૉટસઍપ કે ઇન્સ્ટાગ્રામમાં ફરતા રહે. તો હે મારાસજાગ વાચકો.. બીજા કોઈકનું સર્જન નામોની, પાત્રોની કે સ્થળની હેરાફેરી કરીને એ જ વિષયવસ્તુ પોતાના નામે ચઢાવી લેતાં સાહિત્યકારોને સાહિત્યકાર કહેવા કે ઉઠાવગીર?
-અસ્તુ
-સંજય ગુંદલાવકર
તા. ૧૨/૧૦/૨૦૧૯